
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય જે સમૃદ્ધ 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે જેમાં દરિયાકાંઠાના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. રાજ્ય સરકારની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પોલીસીની મદદથી વધી એકવાર ગુજરાતના દ્વારકા જિલ્લાની શિવરાજપુર બીચને સમગ્ર દેશમાં લોકો ઓળખતા થઈ જશે. વિવિધ સ્થળે બીચના વિકાસ થકી ગુજરાત સરકાર ટુરિઝમને પણ વેગ આપી રહી છે તેવામાં શિવરાજપુર બીચના વિકાસ થકી દ્વારકા તેમજ તેની આસપાસ ઉપરાંત જામનગર સુધી વિકાસ પહોંચી શકશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારકા જિલ્લાના શિવરાજપુરના બ્લુ ફલેગ બીચ ખાતે રૂ.૨૦ કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં થનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્તીનું અનાવરણ કરી બિચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સમગ્રતયા રૂ. ૧૦૦ કરોડના ખર્ચે આ બિચનો વિકાસ કરવાની નેમ વ્યકત કરતાં કહ્યું કે, ફેઝ-રમાં શિવરાજપુર બિચને રૂ.૮૦ કરોડના ખર્ચે વધુ સુવિધાયુકત બનાવવામાં આવશે. આમ, રૂ.૧૦૦ કરોડના ખર્ચે શિવરાજપુર બિચને આંતરરાષ્ટ્રીય સ્તરનો બિચ બનાવવામાં આવશે. શિવરાજપુર બીચને ગોવાના બીચ કરતાં પણ વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. ગુજરાતમાં ટુરિઝમ દ્વારા સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્યું છે ત્યારે શિવરાજપુર બીચ દ્વારા રોજગારીની નવિન તકો ઉત્પન્ન થશે, સ્થાનિક યુવાનોને અનેકવિધ પ્રવૃત્તિઓ થકી રોજગાર પ્રાપ્ત થશે. પ્રવાસન સેકટર દ્વારા સંપૂર્ણ ઇકોનોમી સાયકલને વેગ મળશે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા ગુજરાતની ઇકોનોમીને બુસ્ટ મળશે, તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિશ્વખ્યાતિમાં હવે નવો કિર્તિમાન ગ્લોબલ ચોઇસ ફોર ટુરીઝમ પ્રસ્થાપિત કરવાની નેમ સાથે નવી પ્રવાસન નિતિ જાહેર કરી છે. વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, આ નવી ટુરીઝમ પોલીસીમાં ગુજરાતની પ્રાકૃતિક,સાંસ્કૃતિક અને ભૌગોલિક સમૃધ્ધિને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના ટુરીઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં કેરેવાન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ ટુરિઝમ, એમ.આઇ.સી.ઇ. ટુરિઝમ, એડવેન્ચર એન્ડ વાઇલ્ડ લાઇફ ટુરિઝમ, કોસ્ટલ એન્ડ ક્રુઝ ટુરીઝમ, રીલીજીયસ/ સ્પિરિચ્યુઅલ ટુરિઝમ તેમજ રૂરલ બેઝડ એક્સપિરિયન્સ ટુરિઝમનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના અનેક મોટા પ્રોજેક્ટસ જેમાંના રિન્યુએબલ એનર્જી પાર્ક, ડિસેલિનેશન પ્લાન્ટ, સી –પ્લેન સર્વિસ, રો પેક્સ સર્વિસ, ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ, મેટ્રો ટ્રેન પ્રોજેકટસ વગેરેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાત વિકાસ મંત્ર સાથે દેશનુ ગ્રોથ એન્જીન બન્યું છે.

પાણીની વિવિધ યોજનાઓ તથા ગુજરાતમાં નિર્માણાધિન પાંચ ડિસેલિનેશન પ્લાન્ટ થકી ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બનશે તેમ તેમણે જણાવ્યું હતું. શિવરાજપુર બીચના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રવાસન અને મત્સયોદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ હર્ષની લાગણી સાથે કહ્યું કે, શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બિચની માન્યતા મળતા દ્વારકા જિલ્લાની મુલાકાતે વધુને વધુ પ્રવાસીઓ આવશે, જેથી સ્થાનિકોને વધુ રોજગારી મળશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, શિવરાજપુર બીચ ખાતે ફેઝ-૧ અંતર્ગત સાયકલ ટ્રેક, પાથ-વે, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, અરાયવલ પ્લાઝા, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર સહિતની સુવિધાઓનું રૂ.૨૦ કરોડના ખર્ચે નિર્માણ કરાશે.નવી ટુરિઝમ પોલીસી મુજબ ટુરિઝમ વિસ્તારમાં કોઈ હોટેલ બનાવશે તો સરકાર ૨૦ ટકા સબસિડી આપશે. આમ નવી ટુરિઝમ પોલીસી પ્રવાસનના વિકાસને વેગ મળશે. આ સાથે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો કરવાના હેતુથી રાજય સરકાર હોટેલો, રીસોર્ટસ, અને ટુર ઓપરેટરોને ટુરીસ્ટ ગાઇડસને નિયુકત કરવામાં સહયોગ કરશે. આ માટે હોટેલ-રીસોર્ટસને ટુરીસ્ટ ગાઇડસને નિયુકત કરવા માટે દર મહિને વ્યકતિદિઠ મહતમ રૂ.૪૦૦૦/- ની નાણાંકિય સહાયતા છ મહિના સુધી રાજય સરકાર દ્વારા આપવામાં આવશે. ગુજરાત ટુરીઝમ એવોર્ડ-૨૦૨૦માં દેવભૂમિ દ્વારકાને શ્રેષ્ઠ તિર્થસ્થાનનો તેમજ શિવરાજપુર બીચને બેસ્ટ બિચનો ટુરીઝમ એવોર્ડ પ્રાપ્ત થયો છે જે મુખ્યમંત્રીના હસ્તે કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાને એનાયત કરાયા હતા. આ પ્રસંગે પ્રવાસન વિભાગના એમ.ડી. જેનુ દેવાને પ્રાસંગિક પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા જયારે કલેકટર ડો. નરેન્દ્ર મીનાએ આભાર વ્યકત કર્યો હતો.